સચરાચર - દિવ્યેશ વ્યાસ
મહિના પહેલા કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી સામે થયેલા
રાષ્ટ્રદ્રોહના કેસ બાબતે મીડિયામાં અભિવ્યક્તિની આઝાદીની બહુ ચર્ચાઓ થઈ
પરંતુ રાષ્ટ્રચિહ્નના સન્માનનો મુદ્દો સાવ ભુલાઈ ગયો. રાષ્ટ્રીય પ્રતીકો તો
આપણા દેશની શાન છે, તેનું પૂરેપૂરું સન્માન જળવાવું જ જોઈએ.
રાષ્ટ્રચિહ્ન કોઈ સરકારનું નહીં પણ દેશનું ચિહ્ન છે, એ ન ભૂલવું જોઈએ.
ચાલો, જાણીએ રાષ્ટ્રીય ચિહ્નની જાણી-અજાણી વાતો...
આશરે એક મહિના
પહેલાં એટલે કે ૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના
રોજ મુંબઈમાં અસીમ ત્રિવેદી નામના કાર્ટૂનિસ્ટની ધરપકડ કરવામાં આવી. આરોપ
લાગ્યો રાષ્ટ્રદ્રોહનો. દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચળવળ ચલાવનારા
અસીમે એક કાર્ટૂન દોરેલું, જે તેને જેલમાં ધકેલી ગયું. માધ્યમોમાં એવી વાતો
ચાલી કે અસીમે છેલ્લાં કેટલાંક વર્ષોથી 'કાર્ટૂન્સ અગેઇન્સ્ટ કરપ્શન' ચળવળ
ચલાવે છે તથા ભારતમાં ઇન્ટરનેટની સેન્સરશિપના વિરોધમાં 'સેવ યોર વોઇસ'
નામનું
આંદોલન ચલાવી રહ્યા છે એટલે તેમની આવી પ્રવૃત્તિને કારણે જ તેમને
રાષ્ટ્રદ્રોહના કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે. અસીમનાં આ આંદોલનથી સત્તા
પર બેઠેલાઓ ગિન્નાયેલા હશે, તેમને અસીમ પર દાઝ હશે એની ના ન પાડી શકાય,
પરંતુ
અસીમની દેશદ્રોહના આરોપસર જે ધરપકડ કરવામાં આવી તેમાં નિમિત્ત બનેલા
કાર્ટૂનની ચર્ચા ભાગ્યે જ કરવામાં આવી. મોટા ભાગના લોકોએ આ ઘટનાને માત્ર
અભિવ્યક્તિની આઝાદીના દૃષ્ટિકોણથી જ જોઈ હતી, પણ અસીમભાઈએ પોતાના
કાર્ટૂનમાં શું કળા કરી હતી, એ
તરફ મોટા ભાગે દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું. ભાગ્યે જ કોઈએ અસીમે દોરેલા
કાર્ટૂનના વાજબી-ગેરવાજબીપણા અંગે ચર્ચા કરી. અસીમ ત્રિવેદીએ ભ્રષ્ટાચાર
સામેનો પોતાનો રોષ દર્શાવવા માટે રાષ્ટ્રચિહ્નનો વિચિત્ર રીતે ઉપયોગ કર્યો
હતો. આપણા રાષ્ટ્રચિહ્નમાં ત્રણ સિંહની આકૃતિ છે, તેની જગ્યાએ ત્રણ વરુઓ
દર્શાવવામાં આવ્યાં, જેના મોંઢામાંથી લોહી ટપકી રહ્યું છે. નીચે ઘોડા-બળદ
અને અશોકચક્રની જગ્યાએ ડેન્જરની નિશાની દોરીને 'સત્યમેવ જયતે'ને બદલે
'ભ્રષ્ટમેવ જયતે' લખવામાં આવ્યું હતું. (નેટ પર આ કાર્ટૂન ઉપલબ્ધ છે, પણ
રાષ્ટ્રચિહ્નનું અપમાન કરતું એ કાર્ટૂન અહીં મૂકવું યોગ્ય લાગ્યું નથી.)
પ્રાથમિક શાળાના પાઠયપુસ્તકોમાં પણ ભણાવવામાં આવે છે કે રાષ્ટ્રીય ચિહ્ન,
રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ
તથા રાષ્ટ્રનાં અન્ય પ્રતીકોનું સન્માન જાળવવું એ નાગરિકની મહત્ત્વપૂર્ણ
ફરજ છે. આ રાષ્ટ્રીય પ્રતીકો સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં ચલાવી લેવાય
નહીં. આ રાષ્ટ્રીય પ્રતીકો તો આપણા દેશની શાન છે, તેનું પૂરેપૂરું સન્માન
જળવાવું જ જોઈએ. અસીમ ત્રિવેદીનો કદાચ બદઈરાદો નહીં હોય, તેમનો ઉદ્દેશ તો
ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગૃત કરવાનો જ હશે, પરંતુ તેઓ કદાચ ભૂલી ગયા કે
રાષ્ટ્રચિહ્ન તો દેશનું પ્રતીક છે, ભ્રષ્ટ
શાસકોનું નહીં. તેમણે રાષ્ટ્રીય ચિહ્ન સાથે છેડછાડ કરીને ભ્રષ્ટાચારના
આરોપોથી ચોમેર ઘેરાયેલી સરકારને સામેથી કેચ આપી દીધો! ખેર, અસીમ ત્રિવેદીને
હવે જામીન મળી ગયા છે અને અભિવ્યક્તિની આઝાદીના લડવૈયા તરીકે
સન્માનો-પુરસ્કારો પણ મળી રહ્યાં છે, વહેલો-મોડો દેશદ્રોહનો આરોપ પણ પાછો
ખેંચી લેવાશે, પરંતુ આખા પ્રકરણમાંથી આપણે સમજવા-શીખવા જેવો મુદ્દો
રાષ્ટ્રીય-ચિહ્નના સન્માનનો છે.
ભારતે મહાત્મા ગાંધીની દોરવણી હેઠળ સત્ય અને અહિંસાના પાયા પર આઝાદી હાંસલ કરી હતી. આઝાદી પછી આપણે સ્વતંત્રતા, સમાનતા
અને બંધુતાના સિદ્ધાંતો સ્વીકાર્યા હતા. સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે આપણે
દેશની સંસ્કૃતિ અને અસ્મિતાને છાજે એવાં રાષ્ટ્રીય પ્રતીકો પસંદ કર્યાં
હતાં. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય પ્રાણી (વાઘ), રાષ્ટ્રીય પક્ષી (મોર), રાષ્ટ્રીય
વૃક્ષ (વડ) વગેરેની જેમ રાષ્ટ્રચિહ્નની પસંદગી પણ બહુ સમજી-વિચારીને
કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના સારનાથમાં સમ્રાટ અશોક દ્વારા નિર્મિત
અશોકસ્તંભ પરના ચાર સિંહોવાળા બેનમૂન શિલ્પ પર રાષ્ટ્રચિહ્નની પસંદગીનો કળશ
ઢોળવામાં આવ્યો હતો. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે આઝાદ ભારતની સરકારે આ આકૃતિને રાષ્ટ્રચિહ્ન તરીકે અપનાવી હતી.
રાષ્ટ્રચિહ્નનો પ્રાથમિક પરિચય
આશરે
બે મીટરથી લાંબા એક જ રેતીયા પથ્થરમાંથી આ આખું શિલ્પ
કોતરવામાં આવેલું છે. આ શિલ્પાકૃતિ બુદ્ધની ફિલોસોફીનું પ્રતિબિંબ પાડે છે.
આ શિલ્પમાં ચાર પ્રાણીઓ - ગર્જતા સિંહ, આખલો, હણહણતો
અશ્વ અને હાથી દર્શાવવામાં આવ્યાં છે. આ ચારેય પ્રાણીઓ માણસના જીવનના ચાર
તબક્કાને પ્રતિબિંબિત કરે છે. તો ૨૪ આરાવાળું ચક્ર - ધર્મ/ન્યાયનું ચક્ર
છે, જેને આપણે અશોક ચક્ર તરીકે ઓળખીએ છીએ. અશોક ચક્રને ૨૨ જુલાઈ, ૧૯૪૭ના
રોજ તિરંગાના મધ્યમાં સ્થાન મળ્યું હતું. અશોક ચક્ર નેવી બ્લુ રંગમાં હોય
છે.
રાષ્ટ્રચિહ્નમાં ચારને બદલે ત્રણ સિંહો જ દૃશ્યમાન થાય છે તો ડાબી
તરફ હણહણતો અશ્વ અને જમણી તરફ બળદ દેખાય છે. સાવ વચ્ચે ધર્મચક્ર છે.
ગર્જના કરતા સિંહો શક્તિ, સાહસ અને આત્મવિશ્વાસનું
પ્રતીક છે. હણહણતો અશ્વ અને બળદ તાકાતનું પ્રતીક છે તો ધર્મચક્ર સૌને સમાન
ન્યાયની વાત કરે છે. રાષ્ટ્રચિહ્નમાં નીચે દેવનાગરી લિપિમાં મુંડક ઉપનિષદનો
મંત્ર 'સત્યમેવ જયતે' લખવામાં આવે છે, જે સત્યનો જ વિજય થાય છે, એની ખાતરી આપે છે.
રાષ્ટ્રચિહ્ન અને રાષ્ટ્રદ્રોહ
રાષ્ટ્રચિહ્ન ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યપાલો, કેન્દ્ર અને
રાજ્ય સરકારોનું અધિકૃત ચિહ્ન ગણાય છે. ચલણમાં પણ રાષ્ટ્રચિહ્નનો ઉપયોગ થાય
છે. રાષ્ટ્રચિહ્ન માત્ર સરકારી દસ્તાવેજો-વાહનો માટે જ વાપરી શકાય છે.
તેનો વ્યક્તિગત કે વ્યાવસાયિક ઉપયોગ ગુનાપાત્ર ઠરે છે. ધ સ્ટેટ એમ્બ્લેમ ઓફ
ઇન્ડિયા (પ્રોહિબિશન ઓફ ઇમ્પ્રોપર યુઝ) એક્ટ - ૨૦૦૫ની જોગવાઈ મુજબ
રાષ્ટ્રચિહ્ન સાથેનાં ચેડાં રાષ્ટ્રદ્રોહ જેવો ગંભીર ગુનો ગણાય છે.
રાષ્ટ્રચિહ્નની ફિલસૂફી
રાષ્ટ્રચિહ્ન
બુદ્ધની ફિલોસોફીનું પ્રતિબિંબ પાડે છે. શિલ્પમાંનાં
ચારેય પ્રાણીઓ જીવનના જુદા જુદા તબક્કાને દર્શાવે છે. ગરજતાં સિંહો શક્તિ,
સાહસ ને આત્મવિશ્વાસનું પ્રતીક છે. બીજાં ત્રણ પ્રાણીઓ પાસેથી શું
શીખીશું?
રાષ્ટ્રચિહ્નમાં આખલાની આકૃતિ છે, જે ખેતીપ્રધાન-ગોપાલક દેશ માટે તાકાત અને મહેનતનું પ્રતીક છે.
હણહણતા અશ્વનું પ્રતીક જોમ અને જુસ્સો દર્શાવે છે, જે વિકાસની હરણફાળ ભરવા માટે પ્રોત્સાહિત કરે છે.
હાથીની આકૃતિનો રાષ્ટ્રચિહ્નમાં સમાવેશ નથી કરાયો પણ હાથી તાકાતવર છતાં અહિંસક પ્રાણી છે.
રાષ્ટ્રચિહ્નના નિર્માણનો ટૂંકો ઇતિહાસ
રાષ્ટ્રચિહ્ન જે સ્તંભ પર ઊભું હતું તેના ભગ્ન અવશેષો સારનાથના
ડીયર પાર્કમાં આજે પણ સચવાયેલા છે. જમણી તરફની તસવીરમાં સ્તંભ પર કોતરેલું
લખાણ પણ જોવા મળે છે.
સારનાથ ખાતે ચાર સિંહોની પ્રતિકૃતિ ધરાવતા અશોક સ્તંભનું નિર્માણ
ઈ.સ. પૂર્વે ૨૫૦ની આસપાસના સમયગાળામાં થયું હોવાનું મનાય છે. સારનાથ એ
બૌદ્ધ ધર્મીઓ માટે મહત્ત્વપૂર્ણ ધર્મસ્થળ છે. વારાણસીથી માત્ર દસ કિલોમીટર
દૂર આવેલા સારનાથ ખાતે ભગવાન બુદ્ધે પોતાનો પ્રથમ ધર્મોપદેશ આપેલો તથા
પહેલા સંઘની રચના કરી હતી. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવીને તેના
પ્રચાર-પ્રસાર માટે ભેખ લીધેલો. અશોકે સારનાથ ખાતે ધામેક સ્તુપ બંધાવ્યો
હતો, જેમાં અશોકસ્તંભની રચના કરવામાં આવી. સત્તરમી
સદીમાં તુર્કો અને મોગલોનાં આક્રમણોને કારણે આ સ્તુપ અને અશોક સ્તંભનો
ભુક્કો બોલી ગયો હતો. છેક ૧૮૩૮થી આ સ્મારકના ભગ્ન અવશેષોની યોગ્ય સાચવણી
શરૂ થઈ અને સ્તૂપનો જીર્ણોદ્ધાર થયો. આજે રાષ્ટ્રચિહ્ન તરીકે સ્વીકારાયેલું
ચાર સિંહનું શિલ્પ સારનાથ મ્યુઝિયમમાં તો સ્તંભ ડીયર પાર્કમાં સચવાયેલાં
છે.
વિવિધ રાજ્યોનાં વિશિષ્ટ રાજ્યચિહ્નો
ભારતનાં
જુદાં જુદાં રાજ્યો પણ પોતપોતાના રાજ્યચિહ્નો ધરાવે છે.
ગુજરાત જેવાં કેટલાંક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રાષ્ટ્રચિહ્નને
બેઠું જ અપનાવેલું છે, પરંતુ અન્ય રાજ્યોએ પોતાના અલગ રાજ્યચિહ્નો બનાવેલાં
છે, જે રાજ્યની વિશિષ્ટતાઓનું દર્શન કરાવે છે. ચાલો, એક નજર કરીએ
રાજ્યોનાં વિશિષ્ટ રાજ્યચિહ્નો પર...
ગુજરાત સરકાર ગુજરાત રાજ્યે રાષ્ટ્રચિહ્નને બેઠું જ અપનાવ્યું છે, માત્ર નીચે ગુજરાતીમાં 'ગુજરાત સરકાર' લખાય છે.
કર્ણાટક
કર્ણાટકે જૂના મૈસૂર રાજ્યના રાજપ્રતીકમાં રાષ્ટ્રચિહ્નનો સમાવેશ કરીને તેને રાજ્ય-ચિહ્ન તરીકે અપનાવ્યું છે.
આંધ્ર પ્રદેશ
ભારતના ચોખાના વાટકા તરીકે જાણીતા આંધ્ર પ્રદેશે રાજ્યચિહ્નમાં પૂર્ણ કુંભમને સ્થાન આપ્યું છે.
કેરળ
કેરળે ત્રાવણકોર રજવાડાના બે હાથીવાળા પ્રતીકમાં રાષ્ટ્રચિહ્નનો સમાવેશ કરીને રાજ્યચિહ્ન બનાવ્યું છે.
અરુણાચલ પ્રદેશ
અરુણાચલે પોતાના રાજ્યચિહ્નમાં રાજ્યપક્ષી હાર્નબિલ, હિમાલય અને ઉગતા સૂર્ય સમાવિષ્ટ છે.
બિહાર
દેશને બુદ્ધ જેવી વિભૂતિ આપનાર બિહારના ચિહ્નમાં બોધીવૃક્ષ અને આજુબાજુ બે સાથિયા રાખવામાં આવ્યા છે.
તામિલનાડુ
તામિલનાડુએ મદુદાઈ ખાતે આવેલા વિશ્વવિખ્યાત મીનાક્ષી મંદિરને રાજ્યચિહ્નમાં સ્થાન આપ્યું છે.
છત્તીસગઢ
છત્તીસગઢે રાજ્યચિહ્નમાં રાષ્ટ્રચિહ્નની ફરતે મુખ્ય પાક ચોખાની બે કુસ્કીઓ રાખી છે. કમળપાંદડીની કિનારી છે.
ગોવા
રાજ્યચિહ્નમાં જ્ઞાનના પ્રતીક તરીકે વૃક્ષદીપને સ્થાન આપ્યું છે. 'સર્વે ભદ્રાણી..'વાળો સંસ્કૃત શ્લોક પણ મૂક્યો છે.
હરિયાણા
મબલખ ઘઉં પકવતા હરિયાણાએ રાજ્યચિહ્નમાં ઘઉંની ડુંડીઓ અને રાજ્ય-પુષ્પ કમળને સ્થાન આપ્યું છે.
હિમાચલ પ્રદેશ
હિમાલયન રાજ્ય તરીકે હિમાચલ પ્રદેશ રાજ્યચિહ્નમાં હિમાલયને સ્થાન આપે તેમાં શી નવાઈ!
જમ્મુ અને કાશ્મીર
સરોવરો અને ઝીલથી ખ્યાત જમ્મુ-કાશ્મીરે રાજ્યચિહ્નમાં ઘઉંની ડુંડી ઉપરાંત સરોવર અને કમળને દર્શાવ્યાં છે.
ઝારખંડ
જંગલોની ભૂમિ તરીકે ખ્યાત ઝારખંડે રાજ્યચિહ્નમાં લીલા ચોરસમાં અશોકચક્રને સ્થાન આપ્યું છે.
લક્ષદ્વીપ
લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેણે રાજ્યચિહ્નમાં નારિયેળ, ટુના માછલી તથા રાષ્ટ્રધ્વજને સ્થાન આપ્યું છે.
મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશે પોતાના રાજ્યચિહ્નમાં રાજ્યવૃક્ષ વડને સ્થાન આપ્યું છે તથા કમળપાંદડીની કિનારી છે.
divyeshvyas.amd @gmail.com
. |
0 comments:
Post a Comment